
ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ શરૂ થશે. 3 થી 6 વર્ષના બાળકો માટે 4 કલાકનું નવું સમયપત્રક અને ‘મારી વિકાસ યાત્રા’ પુસ્તિકા મંજૂર કરાઈ છે.
Aadharshila Curriculum Gujarat: ગાંધીનગરથી શિક્ષણ જગત માટે મોટા સમાચાર છે. ગુજરાતના પૂર્વ પ્રાથમિક શિક્ષણ (Pre-primary Education) ક્ષેત્રે એક ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વમાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં આંગણવાડીના બાળકો માટે તૈયાર કરાયેલા નવા અભ્યાસક્રમ “આધારશિલા” (Aadharshila Curriculum) ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના માપદંડોને ચુસ્તપણે અનુસરીને આ નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણય મુજબ, આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે જૂન 2026-27 થી રાજ્યભરની તમામ આંગણવાડીઓમાં (Anganwadi) આ નવો કોર્સ લાગુ કરી દેવામાં આવશે, જેનાથી પાયાના શિક્ષણમાં મોટો સુધારો જોવા મળશે.
સમયપત્રક
સ્ટેટ ECCE કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવેથી આંગણવાડીઓમાં (Anganwadi gujarat) શિક્ષણની પદ્ધતિ બદલાશે. 3 થી 6 વર્ષના બાળકો માટે રોજના 4 કલાકનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે.
જેમાં પુસ્તકિયા જ્ઞાનને બદલે ‘રમત સાથે જ્ઞાન’ (Play-based Learning) અને ભાર વગરના ભણતર પર ભાર મૂકવામાં આવશે.
‘એક્ટિવિટી બુક’
આ નવા અભ્યાસક્રમમાં બાળકોની વયજૂથને ધ્યાનમાં રાખીને ખાસ ‘એક્ટિવિટી બુક’ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરો બાળકોને યોગ્ય અને સરળ રીતે ભણાવી શકે તે માટે ‘એક્ટિવિટી બેંક’ (Activity Bank) બનાવવામાં આવી છે. આ માટે કાર્યકરોને સઘન તાલીમ પણ આપવામાં આવશે.
સર્વાંગી વિકાસ (Holistic Development)
બાળકોના વિકાસ પર નજર રાખવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. મંત્રી ડૉ. મનીષાબેન વકીલે બાળકોના સર્વાંગી વિકાસ (Holistic Development) ના ટ્રેકિંગ માટે “મારી વિકાસ યાત્રા” નામની પુસ્તિકા મંજૂર કરી છે. આના દ્વારા દરેક બાળકની પ્રગતિ અને વિકાસનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરવામાં આવશે.
આ અભ્યાસક્રમમાં ‘સમાવેશી શિક્ષણ’ (Inclusive Education) પર વિશેષ ભાર મૂકાયો છે, જેમાં દિવ્યાંગ બાળકો માટે અનુકૂળ પ્રવૃત્તિઓનો સમાવેશ છે. બાળકના શિક્ષણમાં માતા-પિતાનો રોલ વધારવા દર અઠવાડિયે ‘હોમ લર્નિંગ’ અને દર મહિનાના ત્રીજા મંગળવારે ‘બાળ દિવસ’ ની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે.
વર્ષ 2016 ના જૂના કોર્સમાં ફેરફાર કરીને આ નવો કોર્સ યુનિસેફ (UNICEF) ગુજરાતના સહયોગથી તૈયાર થયો છે. GCERT, એમ.એસ. યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના તજજ્ઞોએ 7 જેટલી કાર્યશાળાઓ યોજીને ‘પંચ કોષ’ ની સંકલ્પનાના આધારે આ ‘આધારશિલા’ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.